આદિપુર કન્યા વિદ્યા મંદિરની છાત્રાઓ એ લીધી મ્યુઝિક થેરાપી
કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યા મંદિર શાળાએ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન ના સહયોગથી વિદ્યાર્થિનીઓ માટે ખાસ મ્યુઝિક થેરાપી સેશનનું આયોજન કરી સંગીત થકી સ્વાસ્થ્ય કેળવવા અનેરી પહેલ કરી.

હાલમાં જ્યારે વિદ્યાર્થી વર્ગમાં વધતાં જતાં ટેન્શન અને સ્ટ્રેસ જેવી સમસ્યા નિવારવા તથા સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસો કરી રહી છે ત્યારે કચ્છની આ સંસ્થા એ શાળા તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે મ્યુઝિક થેરાપી સેશનનું આયોજન કર્યું, જેમાં 175 જેટલી દિકરીઓએ તાલીમ મેળવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી જખાભાઈ હુંબલ, ટ્રસ્ટીશ્રી ઘેલાભાઇ ચાવડા, કેમ્પસ ડાયરેક્ટર કપિલાબેન પિંડોરિયા તથા પ્રિન્સિપાલ તૃપ્તિબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.


‘મ્યુઝિક થેરાપી ફોર બ્રેઈન રિવાયરિંગ’ નો આ સેશન ગીતકાર, સંગીતકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ ડો. કૃપેશ ઠક્કર તથા આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકો એ મ્યુઝિક થેરાપીની વિસ્તૃત સમજ, સંગીતનો માનવ મન પર પડતો પ્રભાવ તથા આધ્યાત્મિક ચક્રો અને સંગીતના સૂરોના તાલમેલથી થતાં પરિવર્તનો વિષે માહિતી તથા સંગીતિક વ્યાયામની પધ્ધતિઓ દ્વારા બ્રેઈન રિવાયરિંગ કરવાના નુસખા મેળવ્યા. આ સાથે જ “હેપ્પી પિરિયડસ” અંતર્ગત માસિક્ચક્ર દરમિયાન સંગીતથી સંતુલન જાળવવાની પણ સમજણ આપવામાં આવી.


શિક્ષણ ક્ષેત્રે મ્યુઝિક થેરાપીના મહત્વ વિશે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે સંગીત થકી ભાર વિનાના ભણતરની પરિકલ્પના શક્ય છે. ત્યારે કચ્છમાં આ સંસ્થાએ તેનું મહત્વ સમજીને જે શરૂઆત કરી છે તે સરાહનીય છે જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાત્મક બની રહેશે.” તો વ્યક્તિત્વ વિકાસ અંગે વાત કરતા ડો. પૂજા એ જણાવ્યું કે “સાત ચક્રોને સંતુલિત કરી દ્રઢ એકાગ્રતા અને સ્મરણશક્તિ મેળવી શકાય, જે અભ્યાસમાં ખૂબ જ લાભકારક થઈ શકે.”


આ પ્રસંગે શ્રીમતી કપિલાબેન એ કહ્યું કે “આ વિદ્યાર્થિનીઓ અમારી દીકરીઓ છે. અમે હમેશા તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈક નવું આપવાનું પ્રયાસ કરતા રહીએ છે.” કાર્યક્રમના અંતે સૌએ આ કલાકારોના લાઈવ પરફોર્મન્સની પણ મજા પણ માણી. કાર્યક્રમનું સંચાલન અંજલી સેવક એ સંભાળ્યું.
મ્યુઝિક થેરાપી વર્કશોપનું બૂકિંગ કરવા માટે +91 92656 44011 પર સંપર્ક કરો.